Exodus 7

1યહોવાહે મૂસાને કહ્યું, “જો, મેં તને ફારુનની આગળ ઈશ્વરને ઠેકાણે ઠરાવ્યો છે. તારો ભાઈ હારુન તારો પ્રબોધક થશે. 2હું તને જે આદેશ આપું છું તે બધા તું હારુનને જણાવજે. તારો ભાઈ હારુન એ વિગત ફારુનને જણાવશે કે ફારુન ઇઝરાયલી લોકોને મિસર દેશમાંથી જવા દે.

3પણ હું ફારુનને હઠાગ્રહી બનાવી દઈશ, જેથી તું જે કંઈ કહેશે, તેને તે માનશે નહિ. તેથી હું દેશમાં અનેક ચમત્કારો કરીશ. તોય તે સાંભળશે નહિ. 4એટલે હું મિસર દેશ પર મારો હાથ ઉગામીશ, કઠોર શિક્ષા કરીશ. અને મારાં સૈન્યોને, મારી ઇઝરાયલી પ્રજાને, મિસરમાંથી બહાર લાવીશ. 5ત્યારે મિસરના લોકોને ખબર પડશે કે, “હું યહોવાહ છું, તેઓ જોતા રહેશે અને હું મારા લોકોને મુક્ત કરીશ.”

6મૂસાએ અને હારુને યહોવાહના આદેશોનું પાલન કર્યું. 7તેઓએ દરબારમાં ફારુનની સમક્ષ રજૂઆત કરી. ત્યારે મૂસાની ઉંમર એંસી વર્ષની અને હારુનની ઉંમર ત્યાસી વર્ષની હતી.

8યહોવાહે મૂસા અને હારુનને કહ્યું, 9“જ્યારે ફારુન તમને એવું કહે કે, તમારા પરાક્રમના પુરાવા માટે ‘કોઈ ચમત્કાર બતાવો.’ ત્યારે તું હારુનને કહેજે કે, ‘તારી લાકડી લઈને ફારુનની આગળ જમીન પર નાખી દે’ એ નાખશે ત્યારે લાકડી સાપ બની જશે.” 10પછી મૂસા અને હારુન મિસરના રાજા ફારુન પાસે ગયા. અને યહોવાહની આજ્ઞા પ્રમાણે તેમણે કર્યુ. હારુને ફારુન અને તેના અમલદારો સમક્ષ પોતાની લાકડી જમીન પર નાખી અને તે સાપ બની ગઈ.

11ત્યારે ફારુને જ્ઞાની પંડિતોને અને જાદુગરોને બોલાવ્યા. મિસરના જાદુગરોએ પણ મંત્રતંત્ર દ્વારા હારુનના જેવો જ ચમત્કાર કરી બતાવ્યો. 12તેઓએ પોતાની લાકડીઓ જમીન પર નાખી. એ લાકડીઓના સાપ બની ગઈ. પણ હારુનની લાકડી તેઓની લાકડીઓને ગળી ગઈ. 13તેમ છતાં ફારુને હઠાગ્રહ છોડ્યો નહિ. લોકોને જવા દેવાની ના પાડી. અને યહોવાહના કહ્યા મુજબ મૂસા અને હારુનની કહેલી વાત ફારુને લક્ષમાં લીધી નહિ.

14પછી યહોવાહે મૂસાને કહ્યું, “ફારુન હઠીલો થયો છે, એ મારા લોકોને જવા દેવાનો ઇનકાર કરે છે; 15જો ફારુન સવારે નાઈલ નદીના કિનારા પર આવશે. તે આવે તે પહેલાં ત્યાં જઈને ઘાટ પર ઊભો રહેજે. તારી સાથે લાકડી લઈ જજે.” ફારુન આવે ત્યારે કહેજે કે,

16હિબ્રૂઓના યહોવાહે મને તારી પાસે મોકલ્યો છે અને કહેવડાવ્યું છે કે, મારા લોકોને મારું ભજન કરવા માટે અરણ્યમાં જવા દે; ‘જો અત્યાર સુધી તેં યહોવાહ ની વાત કાને ધરી નથી.’ 17હવે યહોવાહ કહે છે કે, ‘હું યહોવાહ છું. એની તમને ખબર પડી જશે. હવે હું મારા હાથમાંની લાકડી નાઈલ નદીના પાણી પર પછાડીશ એટલે સમગ્ર પાણી રક્ત થઈ જશે. 18નાઈલ નદીની માછલીઓ મરી જશે. નદીમાંથી દુર્ગંધ ફેલાશે અને મિસરવાસીઓને માટે એનું પાણી પીવાલાયક પણ રહેશે નહિ.’”

19પછી યહોવાહે મૂસાને કહ્યું, “તું હારુનને કહે કે, તારી લાકડી હાથમાં લઈને મિસરનાં તમામ જળાશયો, નદીઓ, નહેરો અને તળાવો પર તારો હાથ ફેરવ એટલે તેમાંનુ બધું જ પાણી રક્ત બની જશે. અને સમગ્ર મિસર દેશમાં લાકડાંનાં અને પથ્થરનાં બધાં વાસણોમાંના પાણીનું પણ રક્ત થઈ જશે.”

20તેથી મૂસા અને હારુને યહોવાહે આપેલી આજ્ઞાનું પાલન કર્યું. હારુને ફારુન અને તેના અમલદારોના દેખતાં લાકડી વડે નાઈલના પાણી પર પ્રહાર કર્યો. તેથી તેમાંનું બધું જ પાણી રક્ત થઈ ગયું. 21નદીમાંની બધી માછલીઓ મરી ગઈ. અને નદીમાંથી દુર્ગંધ પ્રસરવા લાગી. અને મિસરના લોકો માટે નદીનું પાણી પીવા લાયક રહ્યું નહિ. સમગ્ર મિસરમાંનું તમામ પાણી રક્ત થઈ ગયું. 22તો સામે પક્ષે મિસરના જાદુગરોએ પણ પોતાના તંત્રમંત્રથી તે પ્રમાણે કર્યું. ફારુને મૂસા અને હારુનની વાત કાને ન ધરી. યહોવાહના જણાવ્યા મુજબ ફારુન હઠીલો થઈ ગયો.

23તેણે કશું ગણકાર્યું નહિ. ફારુન પોતાના મહેલમાં ગયો. 24નાઈલ નદીનું પાણી મિસરવાસીઓથી પિવાય એવું રહ્યું ન હતું. તેથી તેઓએ નદીની આજુબાજુ કૂવાઓ ખોદ્યા અને વીરડા ગાળ્યા. યહોવાહે નાઈલ નદી પર પ્રહાર કર્યા પછી સાત દિવસ પસાર થઈ ગયા.

25

Copyright information for GujULB